Tuesday, January 24, 2012

RBI દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નહીવત

રિઝર્વ બેન્કના ગવર્નર ડી સુબ્બારાવ મંગળવારે નાણાકીય નીતિની જાહેરાત કરશે તેમાં વ્યાજદર ઘટવાની અપેક્ષા બહુ ઓછા લોકો રાખે છે. વૃદ્ધિદર અને ફુગાવો ઘટ્યા હોવા છતાં દરમાં ઘટાડો અશક્ય જણાય છે. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડાની ધારણા છે , પરંતુ ખાતરી નથી.

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાને ઘટતો અટકાવવાનાં પગલાં પછી પ્રથમ વાર નાણાકીય નીતિ આવી રહી છે , જેમાં આર્થિક વ્યવસ્થાપન સામે વર્તમાન ખતરાને ધ્યાનમાં લેવાય તેવી શક્યતા છે.

માર્ચ સુધીમાં ફુગાવાનો દર સાત ટકા સુધી લાવવાની આગાહી જાળવી રખાશે , પરંતુ ચીજવસ્તુની ઘટતી માંગ અને ઓછી નિકાસવૃદ્ધિના કારણે જીડીપીનો અંદાજ ઘટાડીને સાત ટકા કરવામાં આવશે જે અગાઉ 7.6 ટકા હતો. આવી સ્થિતિમાં કોઈ મોટું પગલું લેવાય તો આશ્ચર્ય થશે.

એચએસબીસીના ઇકોનોમિસ્ટ લીફ ઇસ્કેસેને જણાવ્યું હતું કે , કોમોડિટીના વધતા ભાવના કારણે હજુ પણ ફુગાવો વધવાની બીક છે તે વાત યાદ રાખવી જોઈએ.

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડના સરવેમાં 105 ઉત્તરદાતામાંથી 90 ટકાએ જણાવ્યું હતું કે તેમના મતે રેપો રેટ 8.5 ટકા જ રહેશે. અડધાથી વધુ લોકો માનતા હતા કે કેશ રિઝર્વ રેશિયો માટે 6 ટકાનો દર યથાવત્ રહેશે. અમુકના માનવા પ્રમાણે સીઆરઆરમાં 0.25 ટકાથી 0.50 ટકાનો ઘટાડો શક્ય છે જેનાથી સિસ્ટમમાં રૂ. 60,000 કરોડનો ઉમેરો થશે.

સુબ્બારાવે સંકેત આપ્યા છે કે તેમની ફુગાવા વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે તેથી બજારે કોઈ નવી અપેક્ષા રાખવી ન જોઈએ. તેમણે વ્યાજદર ન વધારવાની ખાતરી આપી છે પરંતુ ક્રૂડ તેલ અને અન્ય કોમોડિટીના ભાવ વધી રહ્યા છે ત્યારે તેઓ દર ઘટાડવા માટે પ્રતિબદ્ધ નથી.

સરકાર ઓઇલ , કોલસો અને ફર્ટિલાઇઝરના ભાવ પરનો અંકુશ ઘટાડવા માંગે છે તેથી સુબ્બારાવ કદાચ રેટ નહીં ઘટાડે. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ જણાવ્યું હતું કે , અર્થતંત્ર મોટા પાયે ડીઝલના ભાવ પર નિર્ભર છે. ભાવમાં વધારાની અસર દરેક ક્ષેત્ર પર પડશે.

No comments:

Post a Comment