Monday, August 29, 2016

MF મેનેજરની રોકાણ પેટર્ન પરથી તેજીનો સંકેત

Image result for fund managersસંભવિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર તરીકે તમે વિવિધ સ્કીમના પરફોર્મન્સ અને પોર્ટફોલિયોનો અભ્યાસ કરો છો જેથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકાય. તમે પરફોર્મન્સના ચાર્ટ અને સ્ટોક વેઇટેજ પર નજર નાખો છો. હજુ એક પગલું એવું છે જેના દ્વારા તમે આ સ્કીમ માટે ફંડ મેનેજરની ગંભીરતાનો અંદાજ કાઢી શકો છો.

કોઈ ફંડ મેનેજર પોતાના ફંડ અંગે બુલિશ હોય તો તેણે પોતાનાં કેટલાંક નાણાં પણ તેમાં જરૂર રોક્યાં હશે. તેનાથી તમે પરફોર્મન્સને નહીં સમજી શકો, પરંતુ પોર્ટફોલિયો માટે તેની ગંભીરતા જાણી શકાશે. ફંડ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ નવા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) પ્રમાણે તમને ઘણી જાણકારી મળી રહે છે.

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના પ્રશાંત જૈન પોતાના ફંડ માટે બુલિશ છે. તેમણે પોતાના ફંડ હાઉસની વિવિધ સ્કીમ્સમાં રૂ.107 કરોડ રોક્યા છે. તેમાંથી એચડીએફસી ઇક્વિટી ફંડમાં રૂ.34.23 કરોડ, એચડીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રૂ.33 કરોડ, એચડીએફસી પ્રુડન્સ ફંડમાં રૂ.21.6 કરોડ, એચડીએફસી ટોપ 200 ફંડમાં રૂ.18.7 કરોડ રોક્યા છે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના સીઆઇઓ શંકરન્ નરેને આઇસીઆઇસીઆઇ પ્રુ ડાયનેમિક ફંડમાં રૂ.20 કરોડથી વધારે રોકાણ કર્યું છે. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સુનિલ સિંઘાનિયાએ રિલાયન્સ ગ્રોથ ફંડમાં રૂ.13 લાખ રોક્યા છે. આ ફંડનું ભંડોળ રૂ.5,632 કરોડનું છે.

કેટલાંક નાનાં ફંડ્સના મેનેજર્સ જૈન અને નરેન કરતાં પણ વધારે બુલિશ છે. PPFAS મ્યુચ્યુઅલ ફંડના સીઆઇઓ રાજીવ ઠક્કરે જણાવ્યું કે તેમણે PPFAS લોંગ ટર્મ વેલ્યૂ ફંડમાં સાત કરોડ રૂપિયાથી વધારે રોકાણ કર્યું છે.

આ ફંડનું કુલ એયુએમ રૂ.664 કરોડનું છે. તેઓ કહે છે કે ઘણા લોકો માને છે કે ફંડ પ્રોફેશનલ્સ કાયમ માટે ઇક્વિટી પર બુલિશ હોય છે. પર્સનલ અને સ્પોન્સર રોકાણના ડિસ્ક્લોઝરથી જાણી શકાશે કે તેઓ પોતાના નિર્ણયમાં ભરોસો ધરાવે છે કે નહીં. PPFAS એમએફ ખાતે ડિરેક્ટર્સે લોંગ ટર્મ વેલ્યૂ ફંડમાં રૂ.10 કરોડથી વધારે રોકાણ કર્યું છે.

આ ઉપરાંત કેટલાક ફંડ એવા પણ છે જ્યાં તેમના ફંડ મેનેજર કે એએમસી બોર્ડના સભ્યએ બહુ ઓછું રોકાણ કર્યું છે. તાજેતરનાં વર્ષોમાં રજૂ થયેલાં ઘણાં ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં ફંડ મેનેજર કે મહત્ત્વના પદાધિકારીઓનું કોઈ રોકાણ નથી તેમ આઉટલૂક એશિયા કેપિટલના સીઇઓ મનોજ નાગપાલે જણાવ્યું હતું.

ઓપન એન્ડેડ ફંડ્સમાં પણ ફંડ મેનેજર્સ અથવા એએમસીના સિનિયર સ્ટાફ તરફથી બહુ ઓછું રોકાણ થયું છે. નાગપાલ કહે છે કે ફંડ મેનેજર્સ પોતાના ફંડને શ્રેષ્ઠ ગણાવતા હોવા છતાં તેમાં જાતે રોકાણ કરતા નથી તે નવાઈ પમાડતી બાબત છે.

જોકે, ફંડ મેનેજરના રોકાણને ધ્યાનમાં રાખીને તમે રોકાણનો નિર્ણય લો તે યોગ્ય નથી. આવા રોકાણમાં ભવિષ્યમાં પરફોર્મન્સ કેવું રહેશે તેની કોઈ ગેરંટી હોતી નથી તેમ ઠક્કર કહે છે.

No comments:

Post a Comment