Translate

Friday, December 29, 2017

2G સ્પેક્ટ્રમ કેસમાં રાજા સહિત બધાં આરોપી નિર્દોષ

ટેલિકોમ ઉદ્યોગને 2011માં ધ્રુજાવી દેનાર ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા, ડીએમકેના સાંસદ કનિમોઝી અને અન્ય 15ને નિર્દોષ જાહેર કર્યા છે. ત્રણ વર્ષ અગાઉ લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારના પતન માટે સ્પેક્ટ્રમ કૌભાંડ મુખ્ય કારણ હતું. ટુજી સ્પેક્ટ્રમને લગતા કેસમાં જજ ઓપી સાઇનીએ જણાવ્યું કે, મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે કોઈ પણ આરોપી સામેના આરોપો સાબિત કરવામાં ફરિયાદપક્ષ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે.

કોર્ટે કહ્યું, કોર્ટ સામે રજૂ કરવામાં આવેલા રેકોર્ડમાં એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે આરોપીઓએ વહેલા તે પહેલાની સ્પેક્ટ્રમ નીતિમાં ચેડાં કર્યાં હતાં, કટ ઓફ તારીખ જાહેર કરવામાં ફિક્સિંગ કર્યું હતું અને ડ્યુઅલ ટેક્‌નોલોજી અરજકર્તાઓને સ્પેક્ટ્રમની ફાળવણીમાં કોઈ ગુનો કર્યો હતો.

એસટીપીએલ (સ્વાન ટેલિકોમ) અને યુનિટેક ગ્રૂપની કંપનીઓની ગેરલાયકાતને અવગણવામાં, એન્ટ્રી ફીમાં ફેરફાર ન કરવામાં અને કલાઇનર ટીવીને ₹200 કરોડ ટ્રાન્સફર કરવામાં ગેરકાયદે પ્રવૃત્તિ થઈ હોવાનું પુરવાર થતું નથી.
રાજાનો ઉલ્લેખ કરતાં સાઇનીએ જણાવ્યું કે આ કેસમાં ષડ્‌યંત્ર રચવા માટે રાજા જવાબદાર હોવાના કોઈ પુરાવા નથી. તેઓ કોઈ ગોટાળા, ષડ્‌યંત્ર કે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના પણ કોઈ પુરાવા નથી.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ આરોપ મૂક્યો હતો કે રાજાના આદેશથી ટેલિકોમ મંત્રાલયે ૨૦૦૧માં નક્કી થયેલા ભાવે (₹1,658 કરોડમાં) 2008માં 122 એન્ટિટીને લાઇસન્સ ફાળવ્યાં તેના કારણે સરકારે ₹30,984 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું. સીબીઆઇએ કહ્યું કે તે ઉપલી કોર્ટમાં અપીલ કરશે.

તપાસકર્તા એજન્સી સીબીઆઇએ એવો આરોપ પણ મૂક્યો હતો કે રાજાએ કનિમોઝી દ્વારા સંચાલિત કલાઇનર ટીવી મારફત લાંચ લીધી હતી અને અધિકારીઓ તથા કંપનીઓ સાથે સાંઠગાંઠ રચીને વહેલા તે પહેલાના ધોરણે સ્પેક્ટ્રમ ફાળવવાની નીતિમાં ગરબડ કરી હતી. જેમાં રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ અને યુનિટેક વાયરલેસ જેવી કંપનીઓની અયોગ્ય તરફેણ કરવામાં આવી હતી.

કેગના અંદાજ પ્રમાણે સરકારી તિજોરીને ₹1.76 લાખ કરોડનું નુકસાન ગયું હતું. સુપ્રીમ કોર્ટે 2012માં તમામ 122 લાઇસન્સ રદ કર્યાં હતાં અને કહ્યું હતું કે 2008ની વહેલા તે પહેલાના ધોરણે સ્પેક્ટ્રમ ફાળવવાની નીતિ ખામીયુક્ત હતી. જજ સાઇનીએ પણ પોતાના ઓર્ડરમાં એરવેવ્ઝ ફાળવવાની વહેલા તે પહેલાની નીતિને ખામીયુક્ત ગણાવી હતી.
તેમણે કહ્યું કે વહેલા તે પહેલાંની નીતિ સ્પષ્ટ અને ચોક્કસ નથી. તેમાં ખોટું અર્થઘટન થવા માટે અવકાશ છે. આ નીતિ સમજીવિચારીને ઘડવામાં આવી છે કે માત્ર મર્યાદિત અરજકર્તાઓને લાભ અપાવવા માટે છે તે સ્પષ્ટ નથી.

ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડના કારણે યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગી ગયું હતું અને અંતે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પરાજય સહન કરવો પડ્યો હતો.
જોકે, કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ અને ડીએમકેનો પક્ષ મજબૂત થયો છે જેણે ભાજપની આકરી ટીકા કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું કે, અમે કોર્ટના ચુકાદાને આદર આપીએ છીએ. મને આનંદ છે કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે યુપીએ સામેનો બધો દુષ્પ્રચાર આધારહીન હતો. ચુકાદાથી બધું સાફ થઈ ગયું છે.

આ કેસમાં ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા, રાજાના ભૂતપૂર્વ સચિવ આર ચાંડોલિયા, સ્વાન ટેલિકોમના શાહીદ બાલવા અને વિનોદ ગોયન્કા, યુનિટેકના એમડી સંજય ચંદ્રા અને રિલાયન્સ એડીએજીના ટોચના એક્ઝિક્યુટિવ ગૌતમ દોશી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયરને મુક્ત કરાયા છે. કુશગાંવ ફ્રુટ્સના ડિરેક્ટર આસિફ બાલવા, કલાઇનર ટીવીના ડિરેક્ટર રાજીવ અગરવાલ અને બોલિવૂડના પ્રમોટર કરિમ મોરાનીને પણ મુક્ત કરાયા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports