Translate

Friday, December 29, 2017

ત્રણ તલાકને તલાક આપવા માટે બિલ રજૂ

મુસ્લિમ ધર્મની પરંપરાગત પ્રથા ત્રિપલ તલાકનો વિરોધ કરતુ બિલ આજે લોકસભામાં રજૂ કરાયું. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આ બિલ રજૂ કર્યું. જોકે આ બિલ સામે આરજેડી અને બીજેડી જેવા વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. બિલમાં મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાનું ઓવૈસીએ જણાવ્યું. તેમણે દલીલ કરી કે પહેલાથી ઘરેલુ હિંસા કાયદો છે તો આ બિલની શું જરૂર?

તો બીજી તરફ રવિશંકર પ્રસાદે આજના દિવસને ઐતિહાસિક ગણાવતા આ બિલને નારીની ગરિમા અને સમ્માનને લગતું બિલ ગણાવ્યું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને પાપ ગણાવ્યું હતું. જોકે કોર્ટના ચૂકાદા બાદ પણ આ પ્રથા ચાલુ છે.

આ બિલને બંધારણ હેઠળનું ગણાવતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આ નારીના ન્યાયને લગતો મુદ્દો છે. આ તરફ તમામ મુદ્દે સરકારનો વિરોધ કરતી કોંગ્રેસે પણ આ બિલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે તે આ બિલ પર કોઈ સંશોધન નહીં લાવ. પરંતુ માત્ર પોતાના સૂચનો આપશે.

નિફ્ટી 10500ના પાસે, સેન્સેક્સ 120 અંક મજબૂત

જાન્યુઆરી સિરીઝનું બજારે વધારા સાથે શરૂઆત કરી છે. નિફ્ટી 10500ના ઉપર પહોંચી ગયું છે, તો સેન્સેક્સ માં 120 અંકનો વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.25% તી વધારાના તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેર માં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.7% સુધી ઉથળ્યો છે, તો નિકળીના મિડકેપ 100 ઇન્ડેક્સનો વધારો દર્જ થયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.7% સુધી મજબૂત થયો છે.

ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઓઇલ અને ગેસ શેરોમાં ખરીદારી આવી ગઇ છે. જોકે બેન્ક નિફ્ટી 0.1% ના મામૂલી વધારા સાથે 25513ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 120 અંક મતલબ 0.4% ની મજબૂતીની સાથે 33968 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32 અંક મતલબ 0.3% ની તેજીની સાથે 10510 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન લ્યુપિન, પાવર ગ્રીડ, એલ એન્ડ ટી, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, એસબીઆઇ અને એનટીપીસીમાં 1.4-0.8% સુધી વધ્યો છે. જો કે વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, ગેઇલ અને હિન્દાલ્કો 0.9-0.25% સુધી ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ, બજાજ હોલ્ડિંગ, વોકાર્ડ અને રિલાયન્સ પાવરમાં 21.6-3.3% સુધી ઉછળા છે. જોકે મિડકેપ શૅરમાં બ્લુ ડાર્ટ, એપોલો હોસ્પિટલ્સ, ગ્લેક્સો કન્ઝ્યુમર, યુનાઈટેડ બ્રુઅરીઝ અને જેએસડબલ્યુ સ્ટીલમાં 0.7-0.1% સુધી ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ફિનોટેક્સ કેમ, ફ્લેક્સીટફ ઇન્ટરનેશનલ, આઇએફસીઆઇ, જેપી ઇન્ફ્રા અને ડ્રેજિંગ કોર્પને 16.2-9.5% સુધી મજબૂત થયો છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓકે પ્લે, ઓરિએન્ટલ વેઇનિઅર, કેલ્ટોન ટેક, એડલેબ્સ એન્ટરટેઇનમેન્ટ અને ગુજરાત બ્રોસિલ 4-2% સુધી ટૂટ્યો છે.

પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનને આધાર સાથે લિંક નહીં કરાય

પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનને આધાર સાથે ફરજિયાત લિંક કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. જોકે, હાઉસિંગ અને શહેરી બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંઘ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે, ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ની જોગવાઈ હેઠળ પ્રોપર્ટીની નોંધણીને અધિકૃત કરવા કન્ટેન્ટ આધારિત આધારના ઉપયોગની શક્યતા ચકાસવા જણાવ્યું છે.

પુરીએ ગયા મહિને પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સાથે આધારને લિંક કરવાની દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. એટલે તેમનું આ નિવેદન મહત્ત્વનું કહી શકાય. ઉલ્લેખનીય છે કે, સરકાર આધારને બેન્ક ખાતા સાથે લિંક કરવા સક્રિય છે ત્યારે પ્રોપર્ટી માર્કેટ માટે આવું કરવા કેટલાંક વધારાનાં પગલાં જરૂરી છે. પ્રોપર્ટી અને આધાર લિંકેજ બાબતે પુછાયેલા પ્રશ્નના જવાબમાં પુરીએ કહ્યું હતું કે, હાલ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સાથે આધાર લિંકેજને ફરજિયાત બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેનામી પ્રોપર્ટી સામે કડક પગલાં લેવાની તાકીદ કરી હતી. એટલે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સાથે આધારને લિંક કરવાની અટકળો વધી હતી. બેનામી પ્રોપર્ટી એટલે માલિકે અન્ય વ્યક્તિના નામે ખરીદેલી મિલકત.

2G સ્પેક્ટ્રમ કેસમાં રાજા સહિત બધાં આરોપી નિર્દોષ

ટેલિકોમ ઉદ્યોગને 2011માં ધ્રુજાવી દેનાર ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા, ડીએમકેના સાંસદ કનિમોઝી અને અન્ય 15ને નિર્દોષ જાહેર કર્યા છે. ત્રણ વર્ષ અગાઉ લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારના પતન માટે સ્પેક્ટ્રમ કૌભાંડ મુખ્ય કારણ હતું. ટુજી સ્પેક્ટ્રમને લગતા કેસમાં જજ ઓપી સાઇનીએ જણાવ્યું કે, મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે કોઈ પણ આરોપી સામેના આરોપો સાબિત કરવામાં ફરિયાદપક્ષ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે.

કોર્ટે કહ્યું, કોર્ટ સામે રજૂ કરવામાં આવેલા રેકોર્ડમાં એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે આરોપીઓએ વહેલા તે પહેલાની સ્પેક્ટ્રમ નીતિમાં ચેડાં કર્યાં હતાં, કટ ઓફ તારીખ જાહેર કરવામાં ફિક્સિંગ કર્યું હતું અને ડ્યુઅલ ટેક્‌નોલોજી અરજકર્તાઓને સ્પેક્ટ્રમની ફાળવણીમાં કોઈ ગુનો કર્યો હતો.

એસટીપીએલ (સ્વાન ટેલિકોમ) અને યુનિટેક ગ્રૂપની કંપનીઓની ગેરલાયકાતને અવગણવામાં, એન્ટ્રી ફીમાં ફેરફાર ન કરવામાં અને કલાઇનર ટીવીને ₹200 કરોડ ટ્રાન્સફર કરવામાં ગેરકાયદે પ્રવૃત્તિ થઈ હોવાનું પુરવાર થતું નથી.
રાજાનો ઉલ્લેખ કરતાં સાઇનીએ જણાવ્યું કે આ કેસમાં ષડ્‌યંત્ર રચવા માટે રાજા જવાબદાર હોવાના કોઈ પુરાવા નથી. તેઓ કોઈ ગોટાળા, ષડ્‌યંત્ર કે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના પણ કોઈ પુરાવા નથી.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ આરોપ મૂક્યો હતો કે રાજાના આદેશથી ટેલિકોમ મંત્રાલયે ૨૦૦૧માં નક્કી થયેલા ભાવે (₹1,658 કરોડમાં) 2008માં 122 એન્ટિટીને લાઇસન્સ ફાળવ્યાં તેના કારણે સરકારે ₹30,984 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું. સીબીઆઇએ કહ્યું કે તે ઉપલી કોર્ટમાં અપીલ કરશે.

તપાસકર્તા એજન્સી સીબીઆઇએ એવો આરોપ પણ મૂક્યો હતો કે રાજાએ કનિમોઝી દ્વારા સંચાલિત કલાઇનર ટીવી મારફત લાંચ લીધી હતી અને અધિકારીઓ તથા કંપનીઓ સાથે સાંઠગાંઠ રચીને વહેલા તે પહેલાના ધોરણે સ્પેક્ટ્રમ ફાળવવાની નીતિમાં ગરબડ કરી હતી. જેમાં રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ અને યુનિટેક વાયરલેસ જેવી કંપનીઓની અયોગ્ય તરફેણ કરવામાં આવી હતી.

કેગના અંદાજ પ્રમાણે સરકારી તિજોરીને ₹1.76 લાખ કરોડનું નુકસાન ગયું હતું. સુપ્રીમ કોર્ટે 2012માં તમામ 122 લાઇસન્સ રદ કર્યાં હતાં અને કહ્યું હતું કે 2008ની વહેલા તે પહેલાના ધોરણે સ્પેક્ટ્રમ ફાળવવાની નીતિ ખામીયુક્ત હતી. જજ સાઇનીએ પણ પોતાના ઓર્ડરમાં એરવેવ્ઝ ફાળવવાની વહેલા તે પહેલાની નીતિને ખામીયુક્ત ગણાવી હતી.
તેમણે કહ્યું કે વહેલા તે પહેલાંની નીતિ સ્પષ્ટ અને ચોક્કસ નથી. તેમાં ખોટું અર્થઘટન થવા માટે અવકાશ છે. આ નીતિ સમજીવિચારીને ઘડવામાં આવી છે કે માત્ર મર્યાદિત અરજકર્તાઓને લાભ અપાવવા માટે છે તે સ્પષ્ટ નથી.

ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડના કારણે યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગી ગયું હતું અને અંતે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પરાજય સહન કરવો પડ્યો હતો.
જોકે, કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ અને ડીએમકેનો પક્ષ મજબૂત થયો છે જેણે ભાજપની આકરી ટીકા કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું કે, અમે કોર્ટના ચુકાદાને આદર આપીએ છીએ. મને આનંદ છે કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે યુપીએ સામેનો બધો દુષ્પ્રચાર આધારહીન હતો. ચુકાદાથી બધું સાફ થઈ ગયું છે.

આ કેસમાં ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા, રાજાના ભૂતપૂર્વ સચિવ આર ચાંડોલિયા, સ્વાન ટેલિકોમના શાહીદ બાલવા અને વિનોદ ગોયન્કા, યુનિટેકના એમડી સંજય ચંદ્રા અને રિલાયન્સ એડીએજીના ટોચના એક્ઝિક્યુટિવ ગૌતમ દોશી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયરને મુક્ત કરાયા છે. કુશગાંવ ફ્રુટ્સના ડિરેક્ટર આસિફ બાલવા, કલાઇનર ટીવીના ડિરેક્ટર રાજીવ અગરવાલ અને બોલિવૂડના પ્રમોટર કરિમ મોરાનીને પણ મુક્ત કરાયા છે.

રિલાયન્સ ઇન્ફ્રાએ મુંબઈનો પાવર બિઝનેસ ₹18,800 કરોડમાં અદાણીને વેચ્યો

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈનો પાવર બિઝનેસ કુલ ₹18,800 કરોડમાં અદાણી ટ્રાન્સમિશનને વેચી દીધો છે. બંને કંપનીએ ગુરુવારે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Rઇન્ફ્રાના મુંબઈ ખાતેના પાવર બિઝનેસમાં વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના ઇન્ટિગ્રેટેડ બિઝનેસનો સમાવેશ થાય છે. કંપનીએ બીએસઇને જણાવ્યું હતું કે, સોદાનું મૂલ્ય ₹13,251 કરોડ છે. જેમાં બિઝનેસનું મૂલ્ય ₹12,101 કરોડ અને નિયમન હેઠળની અત્યાર સુધી મંજૂર કરાયેલી ₹1,150 કરોડની એસેટ્સનો સમાવેશ થાય છે. નિયમન હેઠળ ₹5,000 કરોડની એસેટ્સ છે, જેને મંજૂરી મળવાની બાકી છે. ₹550 કરોડની કાર્યકારી મૂડી સીધી Rઇન્ફ્રાના ખાતામાં જમા થશે.

કંપનીના જણાવ્યા અનુસાર સોદામાંથી કંપનીને કુલ ₹18,800 કરોડ મળવાનો અંદાજ છે. Rઇન્ફ્રા આ સોદામાંથી મળનારી સંપૂર્ણ રકમનો ઉપયોગ ઋણ ચૂકવી દેવામુક્ત બનવા માટે કરશે. સોદાને પગલે તેની પાસે ₹3,000 કરોડની રોકડ પુરાંત રહેશે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ સાથે અમે દેશના ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.

ભારત 24 કલાક વીજળીનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્રિય છે ત્યારે અમારા મતે ડિસ્ટ્રિબ્યુશન આગામી 'સનરાઇઝ' સેક્ટર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેક્ટરમાં વૃદ્ધિની વિપુલ તક છે. અમે ટોચની ડિસ્ટ્રિબ્યુશન કંપનીના નિર્માણ માટે નિયમિત વૃદ્ધિ ઉપરાંત, એક્વિઝિશન માટે પણ સક્રિય છીએ. Rઇન્ફ્રાના મુંબઈ ખાતેના પાવર બિઝનેસની ખરીદી સાથે અદાણી ટ્રાન્સમિશનને કદનો લાભ મળશે. ઉપરાંત, તે ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સમિશન બિઝનેસનું ઇન્ટિગ્રેશન કરી શકશે.

Rઇન્ફ્રાએ દાવો કર્યો હતો કે, કોઈ પણ કંપની દ્વારા ઋણ ઘટાડવાની આ સૌથી મોટી કવાયત છે. કંપનીના જણાવ્યા અનુસાર ભાવિ વૃદ્ધિ માટે ઋણ ઘટાડવાની સ્ટ્રેટેજીમાં આ મોનેટાઇઝેશન મહત્ત્વનું પગલું પુરવાર થશે.

રિલાયન્સ એનર્જીના નામે ઓળખાતો Rઇન્ફ્રાનો મુંબઈ પાવર બિઝનેસ ભારતની સૌથી મોટી ખાનગી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી છે, જે મુંબઈના પરાં વિસ્તારના લગભગ 30 લાખ રેસિડેન્શિયલ તેમજ ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે.

ટ્રાન્ઝેક્શન વિવિધ મંજૂરીને આધીન છે. 1,800 મેગાવોટની મહત્તમ માંગ સાથે કંપનીની વાર્ષિક આવક ₹7,500 કરોડ છે અને તેનો કેશ ફ્લો સ્થિર છે. આગામી સમયમાં Rઇન્ફ્રા હળવી એસેટ્સવાળા EPC અને સંરક્ષણ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

HDFC MFના ₹4,000 કરોડના IPOની તૈયારી

દેશની સૌથી મોર્ગેજ કંપની એચડીએફસી લિ તેની એસેટ મેનેજમેન્ટ પેટાકંપની એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડનો 10 ટકા હિસ્સો વેચીને ₹4,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેથી એચડીએફસી મ્યુ ફંડનું મૂલ્ય ₹૪૦,૦૦૦ કરોડ આંકવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

એચડીએફસીએ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ અને ક્રેડિટ સુઇસને તેના આઇપીઓના મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. ભારતમાં એસેટ મેનેજમેન્ટ કંપની તરફથી આ બીજો ઇશ્યૂ હશે. અગાઉ નવેમ્બરમાં રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટનો આઇપીઓ આવ્યો હતો જેમાં તેણે ૧૦ ટકા હિસ્સો વેચીને પ્રાઇમરી માર્કેટમાંથી ₹1,540 કરોડ એકત્ર કર્યા હતા. આ ઇશ્યૂ 81 ટકા છલકાયો હતો અને એસેટ મેનેજરનું હાલમાં બજારમૂલ્ય ₹17,350 કરોડ આંકવામાં આવે છે એટલે કે શેરના ભાવમાં 13 ટકાનો વધારો થયો છે.

HDFC MF એ HDFCની 60 ટકા માલિકી ધરાવે છે જ્યારે બ્રિટિશ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્વેસ્ટમેન્ટ બાકીનો હિસ્સો ધરાવે છે. બંને આ આઇપીઓમાં પોતાના હિસ્સામાંથી 5-5 ટકા હિસ્સો વેચશે. નવેમ્બરમાં બોર્ડે આ માટે મંજૂરી આપી હતી.

HDFC MFની એસેટ અંડર મેનેજમેન્ટ ₹2.92 લાખ કરોડ જેટલી છે અને તે સૌથી વધારે નફો કરતી એસેટ મેનેજમેન્ટ કંપની છે. 31 માર્ચના રોજ સમાપ્ત થયેલા વર્ષમાં તેણે ₹550 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા છ મહિનામાં તેનો ચોખ્ખો નફો ₹310 કરોડ હતો. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે એચડીએફસી મ્યુ ફંડે પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

વધુ ને વધુ ભારતીયો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળી રહ્યા હોવાથી વિદેશી અને સ્થાનિક રોકાણકારો એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં રસ લઈ રહ્યા છે. વધુ સારા વળતર માટે રોકાણકારો સોના અને બેન્ક ડિપોઝિટની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરી રહ્યા છે અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા તેમાં દર મહિને પાંચ હજાર કરોડ ઠાલવે છે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના પાર્ટનર અને ડિરેક્ટર અમિત કુમારે કહ્યું કે, બચતને ફાઇનાન્શિયલ સ્વરૂપ આપવાનું હજુ શરૂ જ થયું છે. રોકાણકારો સોનું અને રિયલ એસ્ટેટ જેવી ફિજિકલ એસેટના બદલે મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી રહ્યા છે. એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગ ગ્રોથ સાઇકલના પ્રારંભમાં છે. ઊંચા વળતરના કારણે આ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં રિટેલ રોકાણકારો આવ્યા છે. એચડીએફસી મ્યુ ફંડના ટ્રેક રેકોર્ડને જોતાં તેનો આઇપીઓ સફળ રહેશે તેમ માનવામાં આવે છે.

ઝુનઝુનવાલાએ 2017માં બજારમાંથી તગડી કમાણી કરી

જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ફક્ત 12 વર્ષની ઉમરે સૌ પ્રથમવાર શેરબજાર તરફ આકર્ષિત થયા હતા. ઝુનઝુનવાલાએ એકવાર ઇટીનાઉને જણાવ્યું હતું કે, તરુણાવસ્થાના ગાળામાં તેમની વયના લોકોને જે બાબતો સામાન્ય રીતે આકર્ષિત કરતી હોય છે તેમાં તેમને શેરબજાર જેટલો રસ પડતો ન હતો.

વર્ષો વીતતાં ગયાં તેમ તેમણે પુરવાર કર્યું કે તેમની પાસે એ બધું જ છે કે જે એક શેર રોકાણકારની પાસે હોવું જોઈએ. કેલેન્ડર વર્ષ 2017 ખાસ કરીને આ શેરબજારના પંડિત માટે સારું રહ્યું છે, ભારતના વોરન બફેટ તરીકે ઓળખવામાં આવે છે તેવા ઝુનઝુનવાલાએ તેમના શેર પોર્ટફોલિયોના એક તૃતીયાંશ શેર્સ મૂલ્યની દૃષ્ટિએ બમણા થઈ ગયા છે, જ્યારે તેમાંના અડધા શેરોએ બીએસઇ સેન્સેક્સની સરખામણીએ બે ગણા જેવું વળતર આપ્યું છે.

30 શેર્સનો ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 26 ટકા વધ્યો છે ત્યારે તેની સરખામણીએ તેમના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 20 શેર્સમાં 280 ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો.

તાજેતરનાં રોકાણો: 3.2 અબજ ડોલરની સંપત્તિ સાથે દલાલ સ્ટ્રીટ પરના સૌથી મોટા વ્યક્તિગત રોકાણકાર પાસે ફક્ત 10 શેર્સનું રોકાણ જ ₹9,200 કરોડથી વધારે છે તેમણે આ વર્ષે ફોર્ટિસ હેલ્થકેર, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ તથા જેપી એસોસિયેટ્સના શેર્સમાં રોકાણ કરીને સમાચારમાં ચમક્યા હતા. આ કંપનીઓ દેવાના ભારણ હેઠળ હતી અથવા તો પછી નિયમનકારી દેખરેખ હેઠળ હતી.

પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝને 331 શંકાસ્પદ શેલ કંપનીઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી કે જેમની સામે નિયમનકારે પ્રારંભિક તબક્કે ટ્રેડિંગ બાનનું હથિયાર ઉગામ્યું હતું. સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલે પાછળથી આ પ્રતિબંધને હટાવી લીધો હતો. ફોર્ટિસ હેલ્થકેરના સિંઘ બ્રધર્સ તથા દાઇચી ₹3,500 કરોડના દાવાના મુદ્દે લડી રહ્યા છે. જેપી એસોસિયેટ્સ બેલેન્સ શીટમાં જંગી દેવા સામે ઝઝૂમી રહી છે.

પરફોર્મિંગ સ્ટોક્સ: 30 જેટલી લિસ્ટેડ કંપનીઓ કે જેમાં ઝુનઝુનવાલા એક ટકા કરતાં વધારે ઇક્વિટી હિસ્સો ધરાવે છે તેમાં પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 277 ટકાનો ઉછાળો જોવાયો હતો. તેમના પોર્ટફોલિયોમાં જિયોજિત બીએનપી પરિબા અન્ય એવો શેર હતો કે જેણે આ કેલેન્ડર વર્ષ દરમિયાન તેમને 206 ટકા વળતર આપ્યું છે. અન્ય એક બ્રોકરેજ એડલવાઇઝ સિક્યોરિટીઝનો શેર 198 ટકા વધ્યો હતો. ઝુનઝુનવાલા આ બ્રોકિંગ કંપનીમાં 1.05 ટકા હિસ્સો ધરાવે છે જેણે હમણાં જ રેલિગેર એન્ટરપ્રાઇઝિસનો બ્રોકિંગ બિઝનેસ હસ્તગત કર્યો છે.

બેગેજ ઉત્પાદક કંપની વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝે ઝુનઝુનવાલાને 206 ટકા વળતર આપ્યું છે. ટાઇટન કંપનીનો શેર જે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાંનો હીરો છે. તે આ કેલેન્ડર વર્ષ દરમિયાન 165 ટકા વધ્યો છે. આ શેર તેનો પ્રિય શેર છે. ઝુનઝુનવાલા તથા તેમનાં પત્ની રેખા સાથે મળીને આ કંપનીમાં 8.06 ટકા હિસ્સો ધરાવે છે, કે જેનું મૂલ્ય બુધવારની શેરની કિંમતની સ્થિતિએ ₹6,182 કરોડ થાય છે.

એસ્કોર્ટ્સ, એપટેક, ઓટોલાઇન, આયોન એક્સ્ચેન્જ એ અન્ય કેટલાક શેરો છે કે જેણે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને 2017માં 100 ટકા કરતાં વધારે વળતર આપ્યું છે.

સપ્ટેમ્બર ક્વાર્ટર: સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની, ઓરોબિન્દો ફાર્મા, ટીવી18 બ્રોડકાસ્ટ, જુબિલન્ટ લાઇફ સાયન્સિસ, ફેડરલ બેન્ક તથા જેપી એસોસિયેટ્સમાં તેનો હિસ્સો ઘટાડ્યો હતો. જોકે, કરુર વૈશ્ય બેન્ક તથા પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં તેનો હિસ્સો વધાર્યો હતો.

સરકારી ઈન્શ્યોરન્સ યોજનાઓ મર્જ થશે

નાણામંત્રાલય તમામ સરકાર સ્પોન્સર્ડ વીમા કવરેજને તેની મુખ્ય લાઇફ તથા જનરલ વીમા યોજનાની અંદર આવરી લેવા વિચારણા કરી રહ્યું છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની વ્યક્તિગત યોજનાઓને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના (PMJJBY) તથા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના (PMSBY) સાથે ભેળવી દેવા વિવિધ રાજ્યો તથા કેન્દ્રીય મંત્રાલયો સાથે વાટાઘાટ ચાલી રહી છે.

આ બે યોજનાઓમાં સાથે મળીને 18 કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ છે અને કન્સોલિડેશનથી આ મોટી યોજનાઓ માટે સ્કેલમાં વધારો થશે. આમઆદમી બિમા યોજના(AABY) એક એવી યોજના છે કે જેને સરળતાથી 18થી લઈને 50 વર્ષ સુધીના લાભાર્થીઓ માટે PMJJBY અને PMSBY સાથે ભેળવી શકાય તેમ છે. AABY કુદરતી મૃત્યુના સંદર્ભમાં ₹30,000ની રકમ તથા આકસ્મિક મૃત્યુના સંજોગોમાં ₹75,000 માટે વીમા કવચ ઉપલબ્ધ કરાવે છે.

ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો તે અધિકારીએ જણાવ્યું હતું કે, આશરે આઠ યોજનાઓ એવી છે જેને ભેળવી પણ દેવામાં આવી છે અને કેટલાક અન્ય ખાતાઓ સાથે પણ વાટાઘાટ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આશરે ૮૦ લાખ કામદારોને આ કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

જન ધન સે સુરક્ષા મારફત સરકાર વીમા અને પેન્શન સ્કીમો માટે પણ એક પોર્ટલની પણ રચના કરશે. સ્કીમોના દૃઢીકરણ તથા વીમા લાભાર્થીઓનું આધાર સિડિંગ સરકારને એવા લોકોની ઓળખ કરાવશે કે જેઓ કોઈ વીમા કવચ ધરાવતાં નથી તથા તેમને ફાઇનાન્શિયલ સર્વિસિસના ઔપચારિક ફોલ્ડર હેઠળ લવાશે.

કેટલાંક રાજ્યોને એકત્રીકરણનો વિચાર પસંદ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એકવાર એમ કરવામાં આવશે પછી અમારી પાસે એક જ પોર્ટલ હશે કે જ્યાં અમારી પાસે વીમા કવચ અંગેની વિગતો હશે અને જે લોકો તેના કવચની બહાર હશે તેમને ખાસ લક્ષ્ય બનાવવામાં આવશે.

હાલમાં, PMJJBY હેઠળ 5.3 કરોડ લોકોને વીમા કવચ આપવામાં આવ્યું છે, જેમાં ₹330ના વાર્ષિક પ્રીમિયમ ભરવાથી ₹બે લાખનું વીમા કવચ એક વર્ષ માટે રિન્યૂ કરવાની ઓફર છે. PMSBY હેઠળ આશરે 13 કરોડ લોકોને વીમા કવચ આપવામાં આવ્યું છે અને તેમાં વાર્ષિક ₹12નું પ્રીમિયમ ભરવાથી ₹બે લાખનું આકસ્મિક મોત અથવા પંગુતા કવચ છે.

KPMGના તાજેતરના એક અહેવાલ અનુસાર, સરકાર MSME તથા અન્ય બિનસંગઠિત સેક્ટર્સમાં કામ કરતાં કામદારોની ઓળખ માટે આધાર નેટવર્કને વિસ્તારવાનો લાભ લઈ શકે. તેમણે નોંધ્યું હતું કે, સરકાર અકસ્માત સાથે ક્રિટિકલ હેલ્થકેર કવરેજનો ઉમેરો કરવા દ્વારા PMSBYના વ્યાપમાં વધારો કરવા વધુ વિચારણા કરી શકે.

Friday, June 9, 2017

ત્રણ વર્ષમાં 440% વધેલો શેર હજુ વધશે

એક વર્ષમાં 290 ટકા જેટલો વધવા છતાં ફિલિપ્સ કાર્બન બ્લેકના શેરની તેજી હજુ અટકે એવું લાગતું નથી. રબર અને સ્પેશિયાલિટી બ્લેક એપ્લિકેશન્સ માટે હાઈ-પર્ફોર્મન્સ હાઈ-માર્જિન ગ્રેડ ધરાવતા પ્રોડક્ટનો પોર્ટફોલિયો વિસ્તારીને વેલ્યૂ ચેઇનમાં ધીમે ધીમે આગળ વધવા માંગતી આ કંપનીએ વેચાણમાં તો હજુ સુધી તંદુરસ્ત વૃદ્ધિ હાંસલ કરી નથી છતાં તેની બોટમ લાઇન દર વર્ષે સુધરી રહી છે.

વિશ્લેષકો જણાવે છે કે, 95 ટકા ક્ષમતાએ કાર્યરત સંજીવ ગોયન્કાની આ કંપનીએ તેના ચાર પ્લાન્ટ્સને નડતી સમસ્યાઓ દૂર કરવાની યોજના ઘડી છે અને રૂ.200 કરોડના મૂડીખર્ચ બાદ તેના વોલ્યુમને વેગ મળવાની શક્યતા છે. સ્પેશિયાલિટી સેગમેન્ટ માટેની યોજનાથી માર્જિનને પણ વેગ મળશે.

ફિલિપ્સ કાર્બનનો શેર એક વર્ષમાં 290 ટકા અને છેલ્લાં ત્રણ વર્ષમાં 440 ટકા વધ્યો છે. વર્તમાન રૂ.456.80ના ભાવે તેનો શેર છેલ્લા 12 મહિનાની EPSના 21 ગણાએ ટ્રેડ થઈ રહ્યો છે.

એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટીને કારણે ભારતમાં કાર્બન બ્લેકની આયાત ઘટવાથી તેના શેરને ફાયદો મળ્યો છે. ઉપરાંત, કોલ-ટારના ઊંચા ભાવને કારણે ચીનનું પ્રભુત્વ ઘટ્યું છે તેમજ ક્રૂડના ભાવ તૂટવાથી કંપનીનો ઈનપુટ ખર્ચ પણ નીચો ગયો છે, જેથી બોટમલાઇન સુધરી છે.

રબર કમ્પાઉન્ડ્સમાં ફિલર તરીકે કાર્બન બ્લેકનો ઉપયોગ થાય છે અને ટાયર ઉત્પાદકોના કાચા માલના ખર્ચમાં કાર્બન બ્લેકનો હિસ્સો 20 ટકા જેટલો હોય છે. કંપની હવે પેઇન્ટ્સ, પ્લાસ્ટિક્સ, ઇન્ક્સ & કોટિંગ્સ, ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ અને ટોનર્સ જેવા ઉદ્યોગોમાં સ્પેશિયાલિટી બ્લેકના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસ જણાવે છે કે, ઊંચું માર્જિન ધરાવતા સ્પેશિયાલિટી બ્લેકનો સમાવેશ થવાથી કંપનીને માર્જિન વધારવામાં મદદ મળશે. નોર્મલ-ગ્રેડ કાર્બન બ્લેકની સરખામણીએ સ્પેશિયાલિટી બ્લેકને વધારે ભાવ મળે છે, જેથી માર્જિન પણ ઊંચકાશે.

કંપનીના કુલ વોલ્યુમમાં આ સેગમેન્ટનો હિસ્સો અત્યારે બે ટકા છે જ્યારે ગ્રોસ માર્જિનમાં તેનો હિસ્સો 9 ટકા છે. કંપનીની વિસ્તરણ યોજનાથી તેને 2018-19 સુધીમાં 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ કરવામાં મદદ મળશે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ ભાવ અગાઉના રૂ.508થી વધારીને રૂ.547 કર્યો છે.

રિલાયન્સ મ્યુ. ફંડનો IPO આવશે: રૂ.20,000 કરોડના મૂલ્યનો અંદાજ

મુંબઈ:અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG) રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનો IPO લાવે તેવી શક્યતા છે. જેમાં એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)ને રૂ.20,000 કરોડનું મૂલ્ય મળવાનો અંદાજ છે. આમ તો UTI મ્યુ ફંડ લાંબા સમયથી IPOની યોજના ધરાવે છે, પણ રિલાયન્સ મ્યુ ફંડ ટૂંકા ગાળામાં પબ્લિક ઇશ્યૂ લાવશે તો ભારતમાં કોઈ AMCનો આ પહેલો IPO હશે.

રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટ (RNAM)ના બોર્ડે બુધવારે AMCના લિસ્ટિંગની દરખાસ્તને મંજૂરી આપી હતી. કંપની ટૂંક સમયમાં IPO માટે મર્ચન્ટ બેન્કર્સ, ઓડિટર્સની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. ભારતના મ્યુ ફંડ ઉદ્યોગની કુલ 42 AMCsમાં રિલાયન્સ મ્યુ ફંડ ત્રીજા ક્રમે છે. કંપની મ્યુ ફંડના રૂ.2.11 લાખ કરોડ સહિત કુલ રૂ.3.6 લાખ કરોડની સંચાલન હેઠળની એસેટ્સ (AUM) ધરાવે છે.

સામાન્ય રીતે એસેટ મેનેજમેન્ટ કંપનીઓને AUMના 5 ટકા જેટલું મૂલ્ય આપવામાં આવે છે. આ ગણતરીના આધારે રિલાયન્સ મ્યુ ફંડનું મૂલ્ય લગભગ રૂ.20,000 કરોડ થાય અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર 10 ટકા હિસ્સાના વેચાણમાંથી કંપનીને રૂ.2,000 કરોડ મળશે.

સેબીના લિસ્ટિંગ નિયમ પ્રમાણે સ્ટોક એક્સ્ચેન્જિસ પર લિસ્ટિંગ માટે કંપનીએ ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો વેચવો પડશે, જે ત્રણ વર્ષમાં વધારી 25 ટકા કરવાનો રહેશે. રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટના સીઇઓ સંદીપ સિક્કાએ જણાવ્યું હતું કે, નાણાકીય સર્વસમાવેશિતાના ભાગરૂપે અમે મ્યુ ફંડના યુનિટધારકો માટે સંપત્તિ સર્જન કર્યું છે.

અમારું માનવું છે કે, હવે રિટેલ રોકાણકારો માટે AMCના ઇક્વિટી શેરધારક બનવાની આ ઉત્તમ તક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે યોગ્ય સ્થિતિનો લાભ લેવા અમારે તૈયાર રહેવું પડશે. સિક્કાએ વેલ્યુએશનની માહિતી આપ્યા વગર માર્ચ સુધીમાં 10 ટકા અને સેબીના નિયમ પ્રમાણે ત્રણ વર્ષમાં 15 ટકા હિસ્સો વેચવાની યોજના જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008માં રિલાયન્સ પાવરના IPO પછી ADAGની કંપનીનો આ પહેલો પબ્લિક ઇશ્યૂ હશે. રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટ એ રિલાયન્સ કેપિટલની સબસિડિયરી છે. રિલાયન્સ કેપિટલ સબસિડિયરીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. લાંબા સમયથી UTI મ્યુ ફંડના IPOની વાતો પણ ચાલી રહી છે, જે તેના ચાર રોકાણકારો SBI, LIC, ‌‌BoB અને PNBને આંશિક એક્ઝિટ આપશે.

Thursday, June 8, 2017

GSTના અમલથી બજારમાં થોડા કરેક્શનની ધારણા

બજારના મોટા ભાગના નિષ્ણાતો માને છે કે જીએસટી એક એવું પરિબળ છે કે જેનાથી બજારમાં થોડું કરેક્શન આવી શકે છે. કંપનીઓનાં રિઝલ્ટ નબળાં રહ્યાં હોવા છતાં છેલ્લા એક વર્ષમાં બજારના મજબૂત દેખાવને કારણે રોકાણકારો થોડા સાવધ છે. કેટલાક રોકાણકારો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે અને બજારમાં પરત આવવા માટે થોડા કરેક્શનની રાહ જોઈ રહ્યા છે.

જોકે બજારમાં મજબૂતાઈ છે અને સતત નવી ઊંચાઈએ બંધ આવી રહ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં થોડી વોલેટિલિટી છે, પરંતુ લિક્વિડિટી મજબૂત છે અને બિઝનેસ આઉટલૂક નક્કર છે.

નિષ્ણાતો માને છે કે જીએસટીના અમલથી બજારમાં કરેક્શન આવી શકે છે, કારણ કે જીએસટીના અમલની તૈયારી અને માહિતીનો અભાવ હોવાથી ઘણા બિઝનેસ (ફોર્મલ અને ઇનફોર્મલ) સાવધ અભિગમ ધરાવે છે. કેટલાક ઉદ્યોગો માને છે કે નવી કરપ્રણાલીને સમજવા અને અમલ કરવા થોડા વધુ સમયની જરૂર છે. કેટલાક ઉદ્યોગો કહે છે કે જીએસટીના રેટ્સ ઊંચા છે.

ખરી અસર નવી પ્રક્રિયા ચાલુ થયા બાદ જ જાણી શકાશે. તેનાથી સપ્લાય ચેઇનમાં થોડો અવરોધ આવી શકે છે તથા ઇન્વેન્ટરી-આવકમાં ફેરફાર અને ફુગાવા પર અસર થઈ શકે છે. તેનાથી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટમાં વોલેટિલિટી આવી શકે છે અને FY18માં અર્નિંગમાં વધારો થવાની ધારણા છે ત્યારે ભાવિ અર્નિંગનો ટ્રેન્ડ ખોરવાઈ શકે છે.

જીએસટી સંબંધિત આ કરેક્શનની ખામી એ છે કે તેની અગાઉથી પૂરી ધારણા છે અને તેનાથી લાંબા ગાળાના આઉટલૂકમાં સુધારો થશે અને રિટેલ ઇન્ડેક્સ (સીપીઆઇ) માટે ફુગાવા વિરોધી હશે. તેથી જીએસટીના અમલથી લિસ્ટેડ કંપનીઓને મોટી અસર ન થવાની ધારણા છે.

કંપનીઓના ચોથા ક્વાર્ટરનાં રિઝલ્ટ મિશ્ર રહ્યાં છે. સેન્સેક્સ કંપનીઓની PAT વૃદ્ધિ ૫થી 7 ટકાની ધારણા સામે લગભગ સપાટ રહી છે. વ્યાપક સૂચકાંકોની કંપનીઓનાં રિઝલ્ટ વધુ સારાં છે. નિફ્ટી-50 કંપનીઓની PAT વૃદ્ધિ વાર્ષિક ધોરણે સાત ટકા અને બીએસઇ100 કંપનીઓ માટેની પીએટી વૃદ્ધિ વાર્ષિક 11 ટકા રહી છે, જે અપેક્ષા કરતાં નીચી છે. સૌથી ખરાબ દેખાવ ફાઇનાન્શિયલ્સ અને ફાર્મા ક્ષેત્રનો રહ્યો છે. આ ક્ષેત્રોની કંપનીઓનાં રિઝલ્ટ ધારણા કરતાં ઘણાં ખરાબ રહ્યાં છે.

આપણે જાણીએ છીએ કે સરકાર અને નિયમનકારોએ પ્રયાસ કર્યા હોવા છતાં બેન્કોની એનપીએ સમસ્યા ક્વાર્ટર દર ક્વાર્ટરમાં ચાલુ રહી છે. એનાલિસ્ટ્સને આશા છે કે નીચી જોગવાઈને કારણે આગામી વર્ષ બેન્કો માટે વધુ સારું રહેશે. જોકે ગયા વર્ષે પણ આવી ધારણા હતી. પીએસયુ બેન્કો અને કેટલીક ખાનગી બેન્કોના અંદાજમાં થોડો ફેરફાર થયો છે.

બેન્કિંગ ક્ષેત્ર (ખાસ કરીને સરકારી બેન્કો) માટેની એક ચિંતા એ છે કે આરબીઆઇના નવા એનપીએ માળખા હેઠળ બેન્કોએ કેટલું નુકસાન ઉઠાવવું પડશે. આ ઉપરાંત કેટલીક બેન્કોએ જાહેર કરેલી એનપીએ અને આરબીઆઇના એસેસમેન્ટ વચ્ચેના તફાવતને કારણે પણ જોખમ ઊભું થયું છે.

આરબીઆઇએ નબળી બેન્કો માટે નવા PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) માળખું જેવા નિયમો આકરા બનાવ્યા છે. કેટલીક બેન્કોને પીસીએ હેઠળ મૂકવામાં આવી છે. તેનાથી મધ્યમ ગાળામાં તેમની બિઝનેસ વૃદ્ધિને અસર થવાની ધારણા છે, પરંતુ તે લાંબા ગાળા માટે આ ક્ષેત્ર માટે હકારાત્મક છે.

ફાર્મા ક્ષેત્રના સંદર્ભમાં તેમના બિઝનેસ આઉટલૂકમાં અનિશ્ચિતતા છે. ફાર્મા ક્ષેત્રના નબળા દેખાવ માટે સ્પર્ધામાં વધારો, ચેનલ કોન્સોલિડેશન અને અમેરિકાના બજારમાં ભાવના દબાણ અને યુએસએફડીએ દ્વારા પ્લાન્ટની તપાસ જેવાં પરિબળો જવાબદાર છે. એવી ધારણા છે કે ફાર્મા ક્ષેત્ર આગામી વર્ષે પણ સમસ્યાના દબાણ હેઠળ રહેશે.

બીજી તરફ NPPA (નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી) ઘરેલુ બજારમાં વધુ ને વધુ દવાને ભાવઅંકુશ હેઠળ લાવી રહી છે. તેનાથી કંપનીઓના પ્રોફિટ માર્જિનને અસર થઈ છે.

એનાલિસ્ટ્સના સરેરાશ અંદાજ મુજબ ભાવ અને માર્જિનમાં ધોવાણ સાથે 2017-18નું નાણાકીય વર્ષ ફાર્મા ક્ષેત્ર માટે વધુ ખરાબ પુરવાર થઈ શકે છે. જીએસટીની ચિંતા ઉપરાંત વૃદ્ધિની ઊંચી ધારણા પણ કોન્સોલિડેશન લાવી શકે છે.

Friday, February 17, 2017

ઇન્ફી વિવાદ લાંબો ચાલવાની શક્યતા

ઇક્વિટી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર રોકાણકારો એવું માનતા હોય કે, સોમવારે બોર્ડની બેઠક સાથે ઇન્ફોસિસના કોર્પોરેટ ગવર્નન્સનું પ્રકરણ પૂરું થઈ ગયું છે તો એ તારણ ઘણું વહેલું ગણાશે. ઉલ્લેખનીય છે કે, નારાયણમૂર્તિ અને કંપનીના અન્ય સ્થાપકોએ કોર્પોરેટ ગવર્નન્સ અંગે પ્રશ્ન કર્યા પછી સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું.

ઇન્ફોસિસના બોર્ડે સોમવારે મુંબઈ ખાતેની પત્રકાર પરિષદમાં કોર્પોરેટ ગવર્નન્સ અંગેની ચિંતાઓ અંગે સ્પષ્ટતાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિશ્લેષકોને હજુ આ પ્રકરણ લાંબું
ચાલશે એવી આશંકા છે.

મુંબઈની એક બ્રોકિંગ કંપનીના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસના બોર્ડે પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે, પણ અમને જાણ નથી કે, સ્પષ્ટતાથી સ્થાપકો સંતુષ્ટ થશે કે નહીં.મૂર્તિએ સોમવારે જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદમાં કોઈ નવી વાત કરવામાં આવી નથી. એટલે (કોર્પોરેટ ગવર્નન્સ અંગે) ચિંતા દૂર નહીં થાય. મારા મતે આ પ્રકરણ લાંબું ચાલશે.

ET સાથેની વાતચીતમાં પાંચમાંથી ચાર એનાલિસ્ટે જણાવ્યું હતું કે, લડાઈ વધુ કેટલાક મહિના ચાલુ રહેવાની શક્યતા છે, પણ તેની કંપની પર ખાસ અસર નહીં થાય.

ભારતની એક બ્રોકિંગ કંપનીના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે વિવાદની શેર પર અસર થઈ ન હતી. અમુક નિર્ણયો લેવા જરૂરી હતા એવી ધારણા કોર્પોરેટ
ગવર્નન્સના મૂળમાં હોય તો બજારને બહુ ચિંતા નહીં થાય. જોકે, વિવાદની અસર કંપનીની કામગીરી પર પડશે તો શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી શકે.

અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, તેમને સ્થાપકોની ખાસ ચિંતા નથી, પણ ઇન્ફોસિસના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ ટી વી મોહનદાસ પાઈ અને વી બાલક્રિષ્નન્‌ના નિવેદનથી
કંપનીને વધુ નુકસાન થવાની શક્યતા છે.

એનાલિસ્ટે કહ્યું હતું કે, તાજેતરના વિવાદથી આપણને એટલું જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ (પાઈ, બાલક્રિષ્નન્) સ્થાપકોની નજીક છે અને તેમણે આરોપો ચાલુ રાખ્યા છે. એનો અર્થ એ થયો કે, લડાઈ લાંબી ચાલશે? જોકે, વિવાદ કાર્યશૈલીમાં તફાવત પૂરતો સીમિત રહેશે તો બજારને ખાસ ચિંતા નહીં થાય. કંપનીની કામગીરીને બજાર વધુ મહત્ત્વ આપશે અને છેલ્લાં બે ક્વાર્ટરથી ઇન્ફીની વૃદ્ધિ ઘટાડાતરફી રહી છે.

ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ સમસ્યાની વાતને ફગાવી પનાયા એક્વિઝિશનમાં 'બધું બરાબર' હોવાની વાત કરી હતી. મોતીલાલ ઓસ્વાલના એનાલિસ્ટ આશિષ
ચોપરાએ જણાવ્યું હતું કે, ઇન્ફીના સમગ્ર પ્રકરણે બોર્ડની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૂર્તિ ગવર્નન્સ સામે પ્રશ્ન કરે એ સમજી શકાય
પણ CEOના પગાર તેમજ વિઝા સંબંધી પ્રોજેક્ટ્સમાં બોર્ડની દેખરેખ બંધ કરવાની વાત એ બોર્ડની સ્વતંત્રતા પર તરાપ કહી શકાય.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports