Translate

Sunday, December 28, 2014

અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી


(ધીરુભાઈ અંબાણીના ઘરની બહારની તેમના નામની તકતી લગાવવામાં આવી છે તે તસવીર)

‘એ તો યારોનો યાર હતો. આમ કહીએ તો ચાલે કે એ મારો કાનુડો અને હું સુદામા. હું ત્યાંનો ત્યાં જ હતો અને એ તો ઉંચી છલાંગો મારતો હતો. દુનિયાને આંબતો હતો. પણ મારો ભેરૂ મને ક્યારેય ભુલ્યો નહીં. જ્યારે પણ હું મળતો ત્યારે એ રીતે મને ભેટી પડતો કે જોનારા જોતા રહી જતા અને આપણો વટ પડી જતો.’ આટલું બોલતાં તો તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. આંખોમાંથી વહેતા આંસુઓમાં પણ જાણે મિત્રની તસવીર દેખાતી હતી. ધીરૂભાઇ અંબાણીનો 28મીએ જન્મ દિવસ. આજે ધીરૂભાઇ નથી અને તેમની યાદોને સંકોરીના રાખનારા એ મિત્ર વાઘજીભાઇ પણ હયાત નથી. તેમનું ચોરવાડમાં જ ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું હતું, પરંતુ આ બન્ને મિત્રોની યાદો આજે પણ જીવંત છે.
 
આજે એટલે કે ૨૮ ડિસેમ્બરે ધીરુભાઇ અંબાણીનો જન્મ દિવસ છે, ગુજરાતનું ગૌરવ સમા ધીરુભાઇની મિત્રતાના સંસ્મરણો અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ,જે એકાદ વર્ષ પહેલા વાઘજીભાઇએ જણાવ્યા હતા. ધીરૂભાઇ માત્ર વેપારી નહોતા પણ ખરા ભાઇબંધ પણ હતા. સંબંધોને સાચવવા તેઓ ક્યારેય પાછી પાની કરતા નહીં. વાઘજીભાઇ જીવાભાઈ રાઠોડ ધીરૂભાઇના એ સ્વભાવનું જાણે કે જીવતુંજાગતું ઉદાહરણ હતા.
 
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે મિડલ શાળામાં અમે સાથે ભણતા. અમારે શરૂઆતથી જ જાણે એકબીજા સાથે લેણું હતું. બહુ જલ્દીથી મિત્રો બની ગયા હતા. અમે ક્રિકેટ સાથે રમતા. હું અને ધીરૂ ત્રીજા ધોરણથી પાંચમા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. છઠ્ઠાથી એ મેટ્રિક કરવા માટે જુનાગઢ ગયા હતા. આજે જેને વિવેકાનંદ સ્કૂલ કહે છે, તે એ સમયે બહાઉદ્દીનશાળા કહેવાતી, ધીરૂભાઈ ત્યાં ભણવા માટે ગયા હતા. ધીરુભાઈ જુનાગઢની મોઢવણિક બોર્ડિંગમાં રહીને મેટ્રિક પાસ થયા હતા. ચોરવાડમાં તે સુરુબાપાના ડેલામાં રહેતા હતા. ધીરુભાઈના મિત્ર સ્વ. વાઘજીબાપાએ ધીરુભાઈ સાથેની મિત્રતાના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, ધીરુભાઈનું અંગ્રેજી સારું પણ ગણિત નબળું હતું.  વિધીની કેવી વિચિત્રતા કહેવાય કે કરોડો-અબજોના આંકડા આમ ગણી નાખનારો વ્યક્તિ ત્યારે ગણિતમાં માર ખાતો હતો.
ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે

ચશ્માના કાચ સાફ કરતાં કરતાં વાઘજીબાપાએ જાણે પોતાની અંતરદ્રષ્ટિ છેક એ સમયમાં પહોંચાડી મલકતા હોઠે સ્મરણો લાવતા જણાવ્યું હતું કે, તે સમયે ધીરુભાઈ ગણિત લઈને આવતા અને મને કહેતા કે આ સાલ્લું ગણિત માથું ચડાવે છે. ગોખલેનું ગણિત ત્યારે આવતું. ધીરુભાઈ કહેતા કે તને ફાવે તો મને કહે...પછી તે મારે ત્યાં ગણિત લઈને આવતા અને અમારા ફળિયામાં અમે એક ખાટલા પર બેસીને ગણિત ભણતા. આવી રીતે હું તેને અપૂર્ણાંક, ક્ષેત્રફળ, નફાખોટના દાખલાઓ ગણાવતો. ચોથી ગુજરાતીનું ગણિત હું શીખવતો ત્યારે તે કંટાળે છતાં કંઈ નવું શીખવાના આશયથી તત્પર રહેતા. જવાબ રૂપિયામાં આવે તેને પાઉંડ અને સિલિંગમાં બદલવાનો હોય આ વાતમાં તેને વધારે મજા પડતી. વાઘજીબાપાની આ વાત એ સમયની સૂચક હતી કે આગળ જતાં પણ ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે...સમય સૌને એક તક આપે છે.વાઘજીભાઈ ઘરની પરિસ્થિતિને વશ થઈ 1948 પછી તરત શિક્ષક તરીકે જોડાયા અને મોડે મોડે 1960માં મેટ્રિક પાસ કર્યું. ધીરુભાઈના નાના ભાઈ નટવરભાઈ આ સમયગાળા દરમિયાન વાઘજીભાઈ પાસે ભણેલા.
‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા

પોતાની વાત આગળ વધારતા વાઘજીબાપાએ જણાવ્યું હતું કે ધીરુભાઈ – કોકિલાબહેન અને તેના સંતાનો ઈ.સ. 1996માં ચોરવાડ આવેલા ત્યારે તેમને હું તેમને મળવા ગયો હતો. આ સમયે ઉમળકા ભેર... ‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા. વાઘજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે મુંબઈ તેના ઘરે ગયો ત્યારે મને સ્ટેશને લેવા માટે એક માણસ મોકલેલો. મને ખૂબ પ્રેમથી રાખ્યો હતો. ધીરુભાઈને જ્યારે પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારે વાઘજીભાઈએ સોમનાથ ચાલીને જવાની માનતા કરેલી. ધીરુભાઈને સારું થઈ ગયા પછી વાઘજીભાઈએ એ માનતા પૂર્ણ કરી ધીરુભાઈને પત્ર લખેલો અને તે પત્રનો મુકેશ અંબાણી દ્વારા પ્રત્યુત્તર પણ સાંપડ્યો હતો. આ કાગળો પણ વાઘજીભાઈ પાસે સાચવી રાખ્યા હતા. ધીરુભાઈ પેરેલિસિસમાંથી ઉગરી ગયા પછી જ્યારે ચોરવાડ આવ્યા હતા તેની યાદ વાગોળતા વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેને સારું થયું એટલે તેઓ ચોરવાડ આવેલા. એ સમયે હું તેમને મળવા ગયો ત્યારે તબિયતના કારણે પહેલા તો તે મને ઓળખી શક્યા ન હતાં...કારમાં બેઠેલા હતા...પછી મેં ઓળખાણ આપી તો સાજા હાથે મને બથમાં લઈ લીધો.
કોકિલાબેન મળ્યા ત્યારે ધીરૂભાઇ સાથેની સ્મૃતિઓ તાજી થઇ હતી

થોડા સમય પહેલાં જ્યારે કોકિલાબેન અને પરિવાર જ્યારે ચોરવાડ ધીરુભાઈની સ્મૃતિમાં બાગનું ઉદ્દઘાટન માટે આવ્યા હતા ત્યારે પણ વાઘજીભાઈ તેઓને મળેલા અને ધીરુભાઈ સાથે પોતાની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ઉપરાંત મુકેશ અંબાણીએ તેઓના ખબર અંતર પૂછ્યા અને અનિલ અંબાણીએ માન સહિત નમસ્કાર કર્યા હતા. ધીરુભાઈએ વાઘજીભાઈને એક ટી.વી. ભેટ કરેલું તે સમયની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધીએ જ્યારે ટી.વી.નું લાયસન્સ રદ કર્યું ત્યારે તેમણે ધીરુભાઈને પત્ર લખેલો કે – છોકરાઓ એમ કહે છે કે તમારા મિત્ર ધીરુભાઈ જો લઈ દે તો અમારે સાંભળવું છે. આ પત્ર પછી તેમણે પાંચ હજારનો ડ્રાફ્ટ મોકલેલો, તેમાંથી વાઘજીભાઈએ ટી.વી. લીધું. આ પછી વાઘજીભાઈએ ફરી પત્ર લખ્યો અને તેમને કહ્યું કે – છોકરાઓ છાપામાંથી તમારો ફોટો ટી.વી. પર લગાડે છે તો સારો એક તમારો ફોટો મોકલશો. તો સામે ધીરુભાઈએ પણ તરત એક દોસ્તયારીના સ્મરણો વાગોળતા પત્ર સાથે ફોટો મોકલાવેલો.
‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી
ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે મારે દિકરાના લગ્ન કરવા હતા ત્યારે તેમની પાસે મેં મદદ માંગી હતી. એ સમયે તેમણે મને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં મારી પાસે જ્યારે ત્રણ હજાર રૂપિયા થયા ત્યારે મેં પાછા આપવા કહેલું, આ સમયે ધીરૂભાઈએ તે પાછા આપવાની મનાઈ કરતો પત્ર લખાવ્યો હતો.  ધીરુભાઈ નાના હતા ત્યારે અહીં કોઈ ધંધો કરતા હતા? તેના જવાબમાં વાઘજીભાઈએ જણાવ્યું હતું કે ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા. ‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી

 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports