Translate

Thursday, December 11, 2014

બેન્કોના રેટ કટ છતાં કોર્પોરેટ FDમાં ઊંચા વ્યાજનો ફાયદો

બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના રેટ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. જોકે, રોકાણકારો હજુ એચડીએફસી, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, મહિન્દ્રા ફાઇનાન્સ અને દીવાન હાઉસિંગ દ્વારા ઓફર કરાતા ઊંચા વ્યાજદરનો લાભ લઈ શકે છે.

બેન્કો અને કોર્પોરેટ FD વચ્ચેના વ્યાજદરનો તફાવત સામાન્ય રીતે 0.5-0.7 ટકા હોય છે, જે વધીને એક ટકા થયો છે. આ સ્થિતિમાં થોડું ‌વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવનાર થાપણદાર ત્રણ વર્ષની મુદત પર 10.5 ટકાનું વ્યાજ મેળવી શકે છે.

સેન્ટ્રમ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ સંદીપ નાયકે જણાવ્યું હતું કે, "વધુ જોખમવાળા રોકાણકારો કંપનીઓની FDમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે. ખાસ કરીને નફાનો સારો ટ્રેક રેકોર્ડ, મજબૂત બેલેન્સશીટ, કાર્યક્ષમ વહીવટ અને સમયસર પેમેન્ટ કરતી કંપનીઓની FDમાં નાણાં રોકી ઊંચું વ્યાજ મેળવી શકાય.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બેન્ક FD અને કોર્પોરેટ FD વચ્ચેના વ્યાજદરનો તફાવત વધવાનું કારણ બેન્ક રેટમાં ઘટાડો કહી શકાય. તેને લીધે નાના રોકાણકાર માટે કોર્પોરેટ FD વધુ આકર્ષક બની છે.''

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની શ્રીરામ ઉન્નતિ ડિપોઝિટ એક, બે અને ત્રણ વર્ષની મુદત પર અનુક્રમે 10.5 ટકા, 9.75 ટકા અને 9.25 ટકા વ્યાજ ચૂકવે છે. તેનું રેટિંગ AA+ છે. એવી રીતે ટ્રિપલ A રેટિંગ ધરાવતી દીવાન હાઉસિંગની FD 'આશ્રય ડિપોઝિટ સિંગલ'નો 14 મહિનાનો વ્યાજદર ૯.૭૫ ટકા છે. દેશની સૌથી મોટી બેન્ક SBI એકથી પાંચ વર્ષની મુદત પર 8.5 ટકા લેખે વ્યાજ આપે છે. હજુ થોડા દિવસ પહેલાં તેણે થાપણદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ટ્રિપલ એ રેટેડ FDનું ૨૪ અને ૩૬ મહિનાનું વ્યાજ અનુક્રમે 9.75 ટકા અને 9.50 ટકા છે. લેડર 7 ફાઇનાન્શિયલ એડ્વાઇઝરિસના સ્થાપક સુરેશ સદાગોપને જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે બેન્ક FDમાં રોકાણ કરનાર અત્યારે કોર્પોરેટ થાપણમાં નાણાં રોકીને વળતરમાં વધારો કરી શકે. રોકાણકાર ડેટ એસેટ્સમાં ફાળવવાની કુલ રકમનો અમુક હિસ્સો આવી FDમાં રોકી શકે. જોકે, આવી થાપણોમાં બેન્ક FD કરતાં જોખમ થોડું વધારે હોય છે.''

દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસીની ટ્રિપલ એ રેટિંગવાળી ડિપોઝિટ સ્કીમ્સ એકથી ત્રણ વર્ષની મુદત પર 9.4 ટકાનું વ્યાજ ચૂકવે છે. સમાન મુદત માટે એચડીએફસી બેન્કનો વ્યાજદર 8.75 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવા છતાં કોર્પોરેટ થાપણના દર ઘટ્યા નથી અને ટૂંકા ગાળામાં તેમાં ઘટાડાની શક્યતા ઓછી છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના એમડી અને સીઇઓ ઉમેશ રેવણકરે જણાવ્યું હતું કે, "રિઝર્વ બેન્ક પોલિસી રેટમાં ઘટાડો કરશે ત્યારે જ અમે વ્યાજદરમાં ફેરફાર કરીશું.''

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports