Translate

Tuesday, May 6, 2014

પરિણામોની આશા ન ફળી તો દશા ને દિશા શું થઈ શકે બજારની?

ચૂંટણી-પરિણામો આવ્યા બાદ શૅરબજારની ચાલની આશાભરી વાતો બહુ થઈ, હવે આ પણ વિચારી લો


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

આ ચૂંટણી બાદ સત્તા પર BJP-નરેન્દ્ર મોદી આવશે એવું ધારીને અને વિચારીને અત્યાર સુધી બજારે ઘણી ઉત્તેજના બતાવી દીધી, નવાં ઇન્ડેક્સ-લેવલ હાંસલ કરી લીધાં, હજી બજાર વધીને કેટલે સુધી જઈ શકે એની આશાના મિનારા પણ બાંધી લીધા; પરંતુ કોઈ કારણસર BJP-નરેન્દ્ર મોદી સત્તા પર ન આવી શક્યાં તો? તેમને બહુમતી ન મળી અને અન્ય ચિત્ર-વિચિત્ર પક્ષોનો ટેકો લઈ સરકાર બનાવવાની નોબત આવી તો? અથવા દેશના કમનસીબે પાછી કૉન્ગ્રેસ સરકાર આવી તો? (તમે મનમાં કહેશો શુભ-શુભ બોલો-લખો ભાઈસાહેબ) શૅરબજારનું શું થશે? કેટલું તૂટશે? ક્યાં સુધી નીચે ઊતર્યા કરશે? જો ખરેખર આવું થયું તો બજારની દિશા શું બનશે અને રોકાણકારોની શું દશા થઈ શકે? રોકાણકારોએ આવા સંજોગોમાં શું કરવું પડે? ચાલો, થોડી નિરાશા સાથે આજે આ સાદી વાતને પણ સમજી લઈએ.

BJPને બહુમતી ન મળી તો?

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ BJP સરકાર સત્તા પર ન આવી તો સેન્સેકસ ૨૦ હજાર નીચે ઊતરી જઈ શકે અથવા બહુમતી વિના એણે અણઘડ પક્ષોની સાથે સરકાર બનાવવાની નોબત આવી તો પણ શરૂમાં બજાર તૂટશે એવી ધારણા ચોક્કસ બાંધી શકાય. સૌપ્રથમ તો BJPને બહુમતી ન મળી એ સમાચારે જ બજાર નિરાશ થઈ જશે, પરંતુ એને સત્તા પર આવવા માટે કે સરકાર બનાવવા માટે કેટલી સીટ ખૂટે છે અને કોનો ટેકો લેવો પડે કે કોનો ટેકો મળે છે એના આધારે નવાં સમીકરણો બની શકે. આવા સંજોગોમાં બજાર મૂંઝાશે અને ચોક્કસ દિશા નહીં બનાવી શકે જેથી એ સમય કન્ફયુઝન કે કન્સોલિડેશનનો બની જઈ શકે. જોકે મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની તો કંઈક નવું થવાની આશા પણ રહેશે; પરંતુ એમાં અત્યાર જેવો ઉત્સાહ નહીં રહે, કેમ કે મોદી માટે પણ આકરા - રચનાત્મક - ઝડપી નિર્ણયો લેવાનું સરળ નહીં રહે. તેથી જે બજાર હાલ માત્ર મોદી આવવાની આશાએ પણ કૂદકા મારે છે એ મોદી હોવા છતાં ઢીલું-ઢીલું જ ચાલી શકશે. ઇન શૉર્ટ, આ સંજોગો રોકાણકારો માટે પણ કપરા બની રહેશે. જેઓ મોદીની મેજોરિટીની આશાએ શૅરો લઈને બેસી ગયા હશે તેમણે લાંબા સમય માટે એ ધરાવી રાખવાની તૈયારી કરવી પડશે. કદાચ તેમને પોતાનો અપેક્ષિત ભાવ મળતાં ખાસ્સો સમય પણ લાગી શકે અથવા એ ભાવ ન પણ મળે. કોઈ તબક્કે લૉસ બુક કરી લેવી પડે એવું પણ બની શકે. ઇન શૉર્ટ, એક વાત એ પણ છે કે બજારે અને લોકોએ મોદી પાસે કંઈક વધુપડતી જ આશા બાંધી લીધી છે જે વાસ્તવમાં પૂરી થવી કઠિન છે અને ઘણા જો અને તો પર આધારિત છે. મોદી સેન્ટિમેન્ટ્સ બદલી શકે, પરંતુ ફન્ડામેન્ટલ્સ બદલતાં મોદીને પણ સમય લાગે એ યાદ રાખવું જરૂરી છે.

કૉન્ગ્રેસ પુન: સત્તારૂઢ થઈ તો?

હવે એ ધારી લેવું પણ જરૂરી છે કે દેશના કમનસીબે કૉન્ગ્રેસ સરકાર પુન: સત્તા પર આવી તો શું થાય? જો આમ થાય તો બજાર આશ્ચર્ય અને આઘાત જરૂર પામે, પરંતુ આ સાથે એ વધી પણ શકે. આવા સમયમાં બજાર બીજું બધું ભૂલીને કૉન્ગ્રેસને વધાવી લેશે, કારણ કે આખરે એ છેલ્લાં દસ વર્ષથી આ સરકારને ચલાવી રહી છે. આ સરકારના સમયમાં એણે (બજારે) બેસ્ટ અને વસ્ર્ટ સમય જોઈ લીધો છે. હા, આપણે અગાઉના ૨૧ હજાર અને ૮૦૦૦ના સેન્સેક્સની વાત કરી રહ્યા છીએ. અત્યારે આ સરકારની હાજરીમાં ૨૨ હજાર ઉપર ગયેલો સેન્સેક્સ માત્ર મોદીની આશાનું પરિણામ ગણાય; પણ હવે પછી કૉન્ગ્રેસ નવેસરથી પોતાની બાજી સુધારવા સજ્જ બની શકે, એની ઇમેજને સુધારવાના કામે લાગી જાય એટલે કે લોકોનો વિશ્વાસ પાછો મેળવવા સંઘર્ષ કરવા લાગી જાય. અલબત્ત, આ વખતે તો વડા પ્રધાન કોણ બને એ નવું સમીકરણ બની શકે. નાણાપ્રધાન પણ નવી વ્યક્તિ આવી શકે, પરંતુ જો રાષ્ટ્રના વધુ કમનસીબે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો માથામાં વાળ ન હોય તોય વિચારવા માટે ખંજવાળવું પડે એવી હાલત થઈ શકે. અલબત્ત, જ્યાં સુધી માર્કેટ અને ઇકૉનૉમીને સંબંધ છે ત્યાં સુધી નાણાપ્રધાનનું નામ મહત્વનું બની રહે. જોકે કૉન્ગ્રેસ દેશની સંપત્તિ લૂંટાવીને પોતાનાં વચનોનું પાલન કરવા જશે તો ઇકૉનૉમીની દશા શું થાય એ પણ ગંભીર વિચારનો મુદ્દો બની જાય છે. આમ કૉન્ગ્રેસના પુન: આગમનના માઇનસ પૉઇન્ટ્સ ઘણા છે. એમ છતાં તેમનો અનુભવ અને અત્યાર સુધીની નીતિઓને ચાલુ રાખીને તેઓ બજારને સુધારવામાં સફળ બની પણ શકે. અફકોર્સ, આ વખતે બજારમાં કૉન્ગ્રેસના આગમનથી આનંદ - આવકાર કરતા આઘાત - અનિશ્ચિતતા વધી જાય તો નવાઈ નહીં.

સાવચેતીનો અભિગમ શરૂ

જેમ-જેમ ચૂંટણી-પરિણામનો દિવસ ૧૬ મે નજીક આવી રહ્યો છે. બજારના નાના-મોટા રોકાણકારો-ખેલાડીઓ હવે સાવચેતી સાથે આગળ વધવાનો વ્યૂહ બનાવી રહ્યા છે. ખાસ કરીને ફ્યુચર્સ અને ઑપ્શન્સના સટ્ટાકીય સોદા કરતા લોકો હવે પછી છાશ ફૂંકી સોદા કરવા માગે છે. મે મહિનાના કૉન્ટ્રૅક્ટના સોદા અત્યારે ચૂંટણીનાં પરિણામોની જુદી-જુદી ધારણાને આધારે થઈ રહ્યા છે, જ્યારે નાના-મધ્યમ રોકાણકારો લાંબા ગાળાના અભિગમને સલામત માને છે; પરંતુ જો ધારણા સાચી પડી અને મોદી આવી ગયા તો બજાર જે ઉછાળા મારે એમાં નફો બુક કરી લેવાનું નક્કી છે. અર્થાત્ બજાર માટે સારા સમાચારે નવા લોકો લેવા પણ દોડશે અને જૂના લોકો નફો બુક કરવા પણ દોડશે. સેન્સેક્સ ૨૩ હજારની આસપાસ જઈને પાછો ફર્યો છે. કહેવાય છે કે બજારે મોદીના સારા સમાચારને ડિસ્કાઉન્ટ કરી લીધા છે. હવે એ ખરેખર આવે તો પહેલા ઉછાળા સાથે કરેક્શન પણ લાવી શકે અને મજબૂત બહુમતી સાથે આવી ગયા તો. શુભ-શુભ વિચારો દોસ્તો... અબ કી બારી તેજી કી લંબી બારી થઈ શકે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports