Translate

Thursday, September 11, 2014

વડોદરામાં સ્થિતિ વણસી, વિશ્વામિત્રીના જળથી પ્રલય

લાખો નાગરિકો પ્રભાવિત : વડોદરા શહેરમાંથી ૧૨,૭૬૧ સહિત જિલ્લામાંથી કુલ ૨૨,૨૮૯ વ્યક્તિઓનું સ્થળાંતર : સયાજીગંજ, કાલાઘોડા, રાવપુરા, કમાટીબાગ, ફતેહગંજ, આજવા રોડ, અકોટા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ : જળસંકટના પગલે સર્જાયેલી ખાનાખરાબીના કારણે આજવા સરોવરના તમામ દરવાજા ગઈ કાલે સવારથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા



ગુજરાતના વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વિનાશ વેર્યો છે. આજવા સરોવર ઓવરફ્લો થયા બાદ વિશ્વામિત્રી નદીમાં પાણી આવતાં નદીના ધસમસતાં પાણી વડોદરા શહેરને અજગરી ભરડો લેતાં ચારેબાજુ ફરી વળતાં જળપ્રલયથી લાખો નાગરિકો પ્રભાવિત થયા છે. જોકે વડોદરામાં જળસંકટના પગલે સર્જાયેલી ખાનાખરાબીના કારણે આજવા સરોવરના તમામ દરવાજા ગઈ કાલે સવારથી બંધ કરી દેવાયા હતા. ગઈ કાલે સાંજ સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાંથી ૨૨,૨૮૯ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આજવા સરોવર મંગળવારે ઓવરફ્લો થયા બાદ વડોદરામાં પૂરનું સંકટ ઊભુ થયું હતું અને વિશ્વામિત્રી નદી એની ભયજનક સપાટી કરતાં પણ ઉપર વહેતા વડોદરા શહેરમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એની ભયજનક સપાટી વટાવી ગઈ કાલે સાંજે ૫ વાગ્યે ૩૪ ફૂટે વહી રહી હતી, જ્યારે આજવા સરોવર ૨૧૩.૭૫ ફૂટની સપાટીએ હતું.

સમા-સાવલી રોડની ખરાબ હાલત

વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળતાં વડોદરા જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું. સયાજીગંજ, કાલાઘોડા, રાવપુરા, કમાટીબાગ, ફતેહગંજ, આજવા રોડ, અકોટા, પરશુરામઠ્ઠા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સંખ્યાબંધ સોસાયટીઓ, બંગલોઝ, ફ્લૅટો, ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓમાં પાણી ઘૂસી જતાં લાખ્ખો નાગરિકો  કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. સૌથી વધુ ખરાબ હાલત સમા-સાવલી રોડ વિસ્તારની થઈ હતી. ચારે તરફ પાણી ભરાઈ જતાં વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ST સ્ટૅન્ડ પર ૩૦૦ ફસાયા

વડોદરામાં પૂરનાં પાણી સયાજીગંજ હૉસ્પિટલ અને કમાટીબાગમાં પણ ફરી વળ્યાં હતા. પૂરના પાણી ચારેકોર ફરી વળતાં લાખ્ખો વડોદરા ST  સ્ટૅન્ડમાં અંદાજે ૩૦૦ નાગરિકો ફસાઈ ગયા હતા તો રેલવે-સ્ટેશનમાંથી બહાર જવા રસ્તો નહીં મળતાં અસંખ્ય મુસાફરોએ રેલવે-સ્ટેશન પર આશરો લીધો હતો. દૂધ-શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની હતી અને જ્યાં આ વસ્તુએ મળતી હતી ત્યાં વધુ ભાવ લેવામાં આવતા હોવાની ફરિયાદ ઊઠી હતી. વડોદરામાં ભારે પૂર આવતાં વડોદરામાં લશ્કરની ટીમ સવારે ૫ વાગ્યાથી રેસ્કયુમાં જોડાઈ હતી.

આજે વિશ્વામિત્રીનાં પાણી ઊતરશે
વડોદરા જિલ્લા ડિઝૅસ્ટર મામલતદાર જી. એમ. વણજારાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ગઈ કાલે સાંજે ૭ વાગ્યાથી વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ નીચે જઈ રહ્યું છે. આજે સવારથી વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એની ભયજનક સપાટી ૨૬ ફૂટથી નીચે આવશે.

ગઈ કાલે વિશ્વામિત્રી નદી સાંજે ૫ વાગ્યે ૩૪ ફૂટેથી વહી રહી હતી એ સાંજે ૭ વાગ્યે ૩૩.૦૯ ફૂટે થઈ હતી એટલે કે વિશ્વામિત્રી નદીમાં પાણી ઊતરવાનાં શરૂ થયાં છે.

રાધનપુર તાલુકાનાં પાંચ ગામ સંપર્કવિહોણાં

પાટણ જિલ્લા કન્ટ્રોલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે પાટણ નજીક આવેલા સરસ્વતી ડૅમનો એક દરવાજો ખોલીને ૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતાં કાંઠાવિસ્તારના પાટણ, હારીજ અને સમી તાલુકાનાં ૨૦ ગામો અલર્ટ કરાયાં હતાં. દરમ્યાન રાધનપુર રોડ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થયો હતો અને રાધનપુર તાલુકાનાં પાંચ ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. સરસ્વતી ડૅમમાંથી પાણી છોડાતાં પાટણમાં નદીકિનારે આવેલી સબ-જેલના કોટમાં તિરાડ પડી હતી અને પાણી સબ-જેલ પરિસરમાં ઘૂસ્યાં હતાં.’

નર્મદા ડૅમ ઉપરાંત ગુજરાતનાં બાવીસ જળાશયો છલોછલ ભરાયાં

નર્મદા નદી પર બની રહેલો સરદાર સરોવર ડૅમ ગઈ કાલે સાંજે ૧૨૩.૮૩ મીટરેથી છલકાઈ રહ્યો હતો. નર્મદા ડૅમમાં પાણીની આવક થતાં હાલમાં ડૅમમાં ૫૨૬૫.૮૪ મિલ્યન ક્યુબિક મીટર જળસંગ્રહ થયો છે.

ગુજરાતનાં ૨૦૨ જળાશયો પૈકી મધ્ય ગુજરાતનાં ત્રણ, દક્ષિણ ગુજરાતનાં ત્રણ, સૌરાષ્ટ્રનાં ૧૬ જળાશયો મળીને કુલ બાવીસ જળાશયો છલોછલ ભરાઈ ગયાં છે. ૪૨ જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાતાં એના માટે હાઈ અલર્ટ, ૧૦ જેટલાં જળાશયો ૮૦થી ૯૦ ટકા ભરાતાં એના માટે અલર્ટની સ્થિતિ અને ૯ જળાશયો ૭૦થી ૮૦ ટકા જેટલાં ભરાતાં એના માટે સામાન્ય ચેતવણી ગાંધીનગર ફ્લડ કન્ટ્રોલ સેલ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતનાં ૧૪૧ જળાશયોમાં હજી ૭૦ ટકા કરતાં ઓછો જળસંગ્રહ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports