Translate

Thursday, September 11, 2014

જિનપિંગનો ભારત પ્રવાસ: મોદીને બર્થ-ડે ગિફ્ટ મળશે

બેઇજિંગ:પાકિસ્તાનનું નુકસાન અમદાવાદને ફળ્યું છે. ઇસ્લામાબાદની મુલાકાત રદ કર્યા પછી ચીનના પ્રેસિડન્ટ ઝિ જિનપિંગ તેમના નિર્ધારિત કાર્યક્રમ કરતાં વહેલા 17 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. એ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે જેઓ 64 વર્ષના થશે.

જિનપિંગ મોદી સાથે બુલેટ ટ્રેન, ઔદ્યોગિક પાર્ક, ટ્વિન સિટી પ્રોજેક્ટ્સ તેમજ રોકાણની ઢગલાબંધ ઓફરની ચર્ચા કરશે. ઉપરાંત, તે હવામાનમાં ફેરફાર (ક્લાઇમેટ ચેન્જ), એનર્જી સેક્ટર, ફૂડ સિક્યોરિટી, સંસ્કૃતિ, પર્યટન અને ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે સહયોગના કરાર કરવાની પણ યોજના ધરાવે છે.

વડાપ્રધાનના ખાસ દૂત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોવાલ ચીનના વિદેશ મંત્રી વોંગ યી અને ખાસ પ્રતિનિધિ યેંગ જિએચીને મળ્યા ત્યારે જિનપિંગની મુલાકાતને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી ડોવાલ જિનપિંગને મળ્યા હતા અને મોદીના પત્ર સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ડોવાલે મીડિયાને જણાવ્યું હતું કે, "મોદી અને જિનપિંગ ઉત્તમ વ્યક્તિગત તાલમેલ ધરાવે છે.'' રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ડોવાલની આ પહેલી ચીન મુલાકાત હતી. ઉપરાંત, સરહદના પ્રશ્ન માટે યેંગ અને ડોવાલ ખાસ પ્રતિનિધિઓની ટીમમાં પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રિક્સ શિખર મંત્રણામાં મોદી જિનપિંગને મળ્યા ત્યારે બંને વચ્ચે સુમેળ જોવાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ જાપાન અને ચીન સાથે મજબૂત સંબંધો વિકસાવ્યા હતા એ જગજાહેર છે. મુખ્યમંત્રી તરીકેની બેઇજિંગ યાત્રામાં મોદીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ ઇટીને આપેલી માહિતી અનુસાર મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ચીન સાથે આર્થિક અને રોકાણલક્ષી સંબંધો વિકસાવવા માંગે છે. જોકે, મોદીએ જાપાનની તાજેતરની મુલાકાતમાં કરેલી વિસ્તારવાદની ટિપ્પણી ચીન વિરુદ્ધનું હોવાનું મનાય છે, પરંતુ જિનપિંગની મુલાકાત પર તેની અસર નહીં પડે.

ચીનના સહાયક વિદેશ મંત્રી લ્યુ જિઆનચાઓએ કેટલાક પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અન્ય દેશો સાથે ભારત મૈત્રીસંબંધ વિકસાવે એ બાબતે અમે ખુશ છીએ.'' ચીનના વિદેશ મંત્રાલયમાં એશિયાનો હવાલો લ્યુ પાસે છે. ઉલ્લેખનીય છે કે, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે વડાપ્રધાનની ટિપ્પણી ચીન વિરુદ્ધ નહીં હોવાનું જણાવી ભારત-ચીનની મૈત્રી મુલાકાતની પૂર્વભૂમિકા તૈયાર કરી હતી.

જિનપિંગનો પ્રવાસ 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં તે પહેલાં તાજિકિસ્તાન, માલદિવ્સ તથા શ્રીલંકા જશે અને છેલ્લે 17 સપ્ટેમ્બરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી 17 સપ્ટેમ્બરે જ વિયેતનામના ચાર દિવસના પ્રવાસથી પરત ફરી રહ્યા છે. પ્રેસિડન્ટ તરીકે જિનપિંગની આ પહેલી ભારત મુલાકાત છે.

જિનપિંગના પ્રવાસનો સૌથી વધુ લાભ ગુજરાત અને મહારાષ્ટ્રને થશે. 18 સપ્ટેમ્બરે મોદી-જિનપિંગની વાટાઘાટ પછી બંને દેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક પાર્ક સ્થાપવાની જાહેરાત કરશે. લ્યુએ આપેલી માહિતી અનુસાર શાંઘાઈ-મુંબઈ તેમજ ગુજરાત-ગુઆન્ડોંગ (દક્ષિણ ચીનનો પ્રાંત) વચ્ચે ટ્વિન સિટી અને સહકાર પ્રોજેક્ટ્સ અંગેના કરાર થશે. મંત્રીના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગુઆંગ્ઝાઉ (ગુઆન્ડોંગનું પાટનગર) પણ ટ્વિન સિટી કરારનો ભાગ હશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports