Translate

Tuesday, November 11, 2014

કેબિનેટમાં ફેરફારના લીધે રેલવે શેરો ઊંચકાયા

મોદી સરકારની કેબિનેટમાં પ્રથમ ફેરફાર બાદ રોકાણકારોમાં સરકારના આર્થિક સુધારા કાર્યક્રમની ઝડપ અંગે આત્મવિશ્વાસ વધ્યો છે. તેના કારણે સોમવારે રેલવે શેરો અને આઇટીસી ઊંચકાયા હતા. આઇટીસીએ 14 મહિનાની ઊંચી ઇન્ટ્રા-ડે વૃદ્ધિ નોંધાવી હતી.

સવારના સત્રમાં બેન્ચમાર્કે ઓલ-ટાઇમ સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી, તેના પછી આવેલા ઘટાડાના લીધે ઇન્ડેક્સ દિવસના અંતે સામાન્ય વધીને બંધ આવ્યો હતો. પણ સોમવારનો દિવસ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોનો રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ રેલવે મંત્રી તરીકે સુરેશ પ્રભુની નિમણૂક કરતાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેરો વધ્યા હતા. રેલવે શેરો સોમવારે લગભગ 9 ટકા વધ્યા હતા. ટેક્સમાકો રેલ 8.98 ટકા વધી રૂ.108, કાલિન્દી રેલ 8.10 ટકા વધી રૂ.110 અને ટિટાગઢ વેગન 3.6 ટકા વધી રૂ.268 થયો હતો. બધા શેરોએ બીએસઇ મિડ-કેપ અને બીએસઇ સ્મોલ-કેપ ઇન્ડેક્સ કરતાં સારી કામગીરી બજાવી હતી, જે સપાટ બંધ આવ્યા હતા. આઇટીસીનો શેર 4.3 ટકા વધી રૂ.370 પર બંધ આવ્યો હતો.

ટ્રેડરોમાં અટકળ છે કે નવા આરોગ્ય પ્રધાન જે પી નદ્દા સિગારેટ કંપનીઓ પરના વેરામાં વધારો નહીં કરે અથવા તો તેમના જાહેરખબર અને માર્કેટિંગને ડામવા પગલાં નહીં લે. પરંતુ કેટલાક વિશ્લેષકો માને છે કે સરકાર આઇટીસીમાં તેનો હિસ્સો વેચી પણ શકે. હાલમાં તે સ્પેશિયલ અંડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (એસયુયુટીઆઇ) પાસે છે. આઇટીસીમાં સપ્ટેમ્બર 2013 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઉછાળો નોંધાયો હતો.

એમ્બિટ હોલ્ડિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અશોક વાધવાએ જણાવ્યું હતું કે, "સરકારે તેના વિઝન અને કામગીરીના અમલીકરણ વિશે સાતત્યસભર અને હકારાત્મક સમાચાર પૂરા પાડ્યા છે. કેબિનેટમાં કરવામાં આવેલા ફેરફારો રોમાંચક છે.'' મુંબઈ સ્થિત સારસ્વત બેન્ક પર સુરેશ પ્રભુના પરિવારનો અંકુશ છે. તેઓ 1999-2004ની એનડીએ સરકારમાં પણ પ્રધાન હતા. શિવસેનાના વિરોધ છતાં મોદીએ પ્રભુને રેલવે પ્રધાન બનાવ્યા છે. તેઓ અમલીકરણની બાબતમાં સારી છબી ધરાવે છે અને તેમની છાપ સુધારાવાદી નેતાની છે.

જિયોજિત બીએનપી પારિબા ફાઇનાન્શિયલ સર્વિસિસના ફંડામેન્ટલ રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "હું માનતો નથી કે સરકાર આગળ જતાં આઇટીસી જેવી કંપનીઓ પરનો કરવેરા બોજ હળવો કરે. અમે માનીએ છીએ કે સરકારે આઇટીસીમાં તેનો હિસ્સો વેચી દેવો જોઈએ જેથી વડાપ્રધાન મોદી વધારે સુધારાલક્ષી પગલાં લઈ શકે.'' વિશ્લેષકોનું કહેવું છે કે આગળ જતાં ટેન્ડરોના ફોર્મ્યુલેશન અને વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા સહિતની સુધારાલક્ષી જાહેરાતો થશે.

આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટના રિસર્ચ હેડ પંકજ પાંડેએ જણાવ્યું હતું કે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં ફરીથી પ્રાણ ફૂંકાયો છે. આ શેરોમાં તેજી પાછળ એવી આશા છે કે નવા કેબિનટ પ્રધાનનાં પગલાંના લીધે મૂડીખર્ચમાં તીવ્ર વધારો થશે અને નવા રેલવે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે.

તેનાથી આ ક્ષેત્રની કંપનીઓની આવકમાં વધારો થશે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં રજૂ થનારા રેલવે બજેટમાં કેટલાક ધરમૂળ ફેરફારો થવાની કે સુધારાની પણ બજાર આશા રાખે છે.

રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર શેરો છેલ્લા એક વર્ષથી બજારમાં પ્રીતિપાત્ર રહ્યા છે. સ્ટોન ઇન્ડિયા 288 ટકા, બીઇએમએલ 227 ટકા, ટેક્સમાકો રેલ 198 ટકા અને ટિટાગઢ વેગન્સ 155 ટકા વધ્યા છે. જોકે, આ શેરો 2007ના અંતમાં નોંધાવેલી સર્વોચ્ચ સપાટીથી હજી સરેરાશ 25 ટકા નીચા ભાવે છે, જે અગાઉની તેજીનો ટોચનો સમયગાળો હતો.

આ વર્ષે ઓગસ્ટમાં નવી સરકારે સંરક્ષણ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સીધા વિદેશી મૂડીરોકાણની જાહેરાત કરી હતી. તે મુજબ આ ટોચમર્યાદા 49 ટકા અને કેટલાંક ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા કરવામાં આવી હતી.

કેબિનેટ વિસ્તરણના પગલાએ બજારોને એવા મજબૂત સંકેત પાઠવ્યા છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો પર ધ્યાન આપી રહી છે તેમ ઇન્વેસ્ટમેન્ટ મેનેજરોએ જણાવ્યું હતું. આ ઉપરાંત રેલવેને વિદેશી રોકાણ માટે વધુ ખુલ્લી મૂકવામાં આવે તેવી પણ મજબૂત અપેક્ષા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports